મોટેરા-મહાત્મા મંદિર વચ્ચે 16 સપ્ટેમ્બરથી મેટ્રો શરૂ થશે : વડાપ્રધાન કરશે ઉદ્ઘાટન

લોગવિચાર :

મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર વચ્ચે સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી મેટ્રો ટ્રેન દોડતી થઇ જશે. આગામી 16-17 સપ્ટેમ્બરના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે તેમના દ્વારા આ રૂટનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16-17 સપ્ટેમ્બરના ગુજરાત પ્રવાસમાં રૂટનો પ્રારંભ કરાવી શકે છે. ગત મહિનાના પ્રથમ સપ્તાહમાં જ કમિશ્નર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (સીએમઆરએસ) દ્વારા આ રૂટનું ઈન્સ્પેક્શન હાથ ધરાયું હતું. 15  ઓગસ્ટની આસપાસ જ આ રૂટનો પ્રારંભ થઇ શકે તેવી સંભાવના હતી. પરંતુ હવે વડાપ્રધાનના હસ્તે આ રૂટનું ઉદ્ઘાટન થશે.

અલબત્ત, આ અંગે જીએમઆરસી દ્વારા હજુ કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી. પ્રાપ્ત વિગતો અનુસાર મહાત્મા મંદિરથી ગિફ્ટ સિટી વચ્ચેની મેટ્રો ટ્રેનની કામગીરી હજુ જારી છે અને તે રૂટ આ વર્ષના અંત સુધીમાં શરૂ થવાની સંભાવના હાલ નહિવત્ છે.

મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગરના સેક્ટર-1 (ઈન્દ્રોડા સર્કલ)ના ફેઝ-2ની ટ્રાયલ ફેબુ્રઆરીમાં જ પૂરી કરી દેવાઇ હતી. જેના માટે નર્મદા કેનાલ ઉપર 300 મીટરના કેબલ બ્રિજનું પણ નિર્માણ કરાયું છે. ફેઝ-2માં કુલ 28.24 કિલોમીટરનો રૂટ છે.

જેમાં 22.84 કિલોમીટર મોટેરાથી મહાત્મા મંદિર કોરિડોર, 5.42 કિલોમીટર મંદિર-જીએનએલયુ-ગિફ્ટ સિટી કોરિડોરનો સમાવેશ થાય છે. મોટેરાથી મહાત્મા મંદિર વચ્ચે કુલ 20 જ્યારે અને જીએનએલયુ-ગિફ્ટ સિટીના બે સ્ટેશન હશે.