લોગ વિચાર :
કુવૈતમાં ભીષણ આગમાં હોમાયેલા ભારતીય મજૂરોના મૃતદેહોને વતન લાવવા માટે એરફોર્સનું હર્ક્યુલસ વિમાન કુવૈત જવા માટે રવાના થયું છે. તો બીજી તરફ કોચી ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર મૃતદેહોને રિસિવ કરવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસનો મોટો કાફલો પણ એરપોર્ટ ઉપર હાજર છે. કુવૈતમાં આગની ઘટનામાં ૪૫ ભારતીય મજૂરોના મોત થયા છે.
ભારતીય વાયુસેનાનું C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફટ દિલ્હીના હિંડન એરબેઝથી કુવૈત જવા રવાના થયું છે જેથી જીવ ગુમાવનારા મજૂરોના મૃતદેહ પરત લાવવામાં આવે. સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાનું હર્ક્યુલસ એરક્રાફટ કુવૈત માટે રવાના થઈ ગયું છે અને આજે સવારે પરત આવવાની અપેક્ષા છે.
કુવૈતના વિદેશ પ્રધાન અબ્દુલ્લા અલી અલ-યાહ્યાએ પણ કેન્દ્રીય વિદેશ રાજય પ્રધાન કીર્તિ વર્ધન સિંહને માર્યા ગયેલા ભારતીયોના મૃતદેહોને તેમના વતન ઝડપથી પરત કરવાની ખાતરી આપી છે. વિદેશ મંત્રી અબ્દુલ્લાએ આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે તબીબી સંભાળ અને ઘટનાની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે.
કુવૈતમાં ભારતીય દૂતાવાસે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘રાજય મંત્રી કીર્તિ વર્ધન સિંહ કુવૈતમાં વિદેશ મંત્રી અબ્દુલ્લા અલીને મળ્યા હતા.' વિદેશ મંત્રીએ આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો. ‘તેમણે તબીબી સંભાળ, મૃતદેહોને વહેલી તકે પરત લાવવા અને ઘટનાની તપાસ સહિત સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી.'
વિદેશ રાજય મંત્રી કીર્તિ વર્ધન સિંહે કુવૈતની મુબારક અલ કબીર હોસ્પિટલની પણ મુલાકાત લીધી, જયાં આગની ઘટનામાં ઘાયલ સાત ભારતીયોની સારવાર ચાલી રહી છે. તેમણે તેમની સુખાકારી વિશે પૂછપરછ કરી અને તેમને ભારત સરકાર તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી પણ આપી
સુપર હર્ક્યુલસ એરક્રાફટની પસંદગી એટલા માટે કરવામાં આવી છે કારણ કે તે ૧૯ ટન વજન ઉપાડી શકે છે. ઉપરાંત, હર્ક્યુલસ એરક્રાફટ મોટા રનવે વિના ટૂંકા અંતરે ટેકઓફ કરવા અને ઉતરાણ કરવામાં સક્ષમ છે. તે ખૂબ જ ટૂંકા રનવે પર પણ ટેક ઓફ કરી શકે છે.
આ સિવાય આ એરક્રાફટ ખરબચડી જમીન પર પણ લેન્ડિંગ કરવામાં સક્ષમ છે. હર્ક્યુલસ એરક્રાફટ ૬૪૩ કિલોમીટરની ઝડપે ઉડી શકે છે અને એક સમયે ૭૦૦૦ કિલોમીટર સુધીની મુસાફરી કરી શકે છે. કુવૈતથી ભારતનું અંતર લગભગ ૫૧૦૦ કિલોમીટર છે. આવી સ્થિતિમાં પ્લેન એક જ વારમાં કુવૈત જઈ શકે છે.