બળાત્કારના દોષિત રામ રહીમને ફરી પેરોલ મળ્‍યા

લોગ વિચાર.કોમ

બળાત્‍કાર કેસમાં દોષિત સાબિત થયા બાદ જેલની સજા કાપી રહેલો ડેરા સચ્‍ચા સૌદાનો વડો ગુરમીત રામ રહીમ સિંહ ફરી જેલની બહાર આવ્‍યો છે. તેને ૨૧ દિવસના પેરોલ મળ્‍યા છે, કડક સુરક્ષા વચ્‍ચે રામ રહીમ હરિયાણાની સુનારિયા જેલમાંથી સિરસા (Sirsa) સ્‍થિત ડેરા મુખ્‍યાલય પહોંચ્‍યો હતો. સિરસામાં પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે. તેના અનુયાયીઓ ખુશ છે, જ્‍યારે એક બાલાત્‍કારીને ફરી પે રોલ આપવા બદલ ઘણા લોકો હરિયાણા સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે.

સુનારિયા જેલમ અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, ગુરમીત રામ રહીમને બુધવારે સવારે મુક્‍ત કરવામાં આવ્‍યો હતો અને તે સિરસામાં ડેરા મુખ્‍યાલય જવા રવાના થયો હતો. ૨૦૧૭ માં દોષિત ઠર્યા પછી તે બીજી વખત મુખ્‍યાલય મુલાકાત લઈ રહ્યો છે. હરિયાણા રાજ્‍ય સરકારે બાળાત્‍કારના કેસમાં દોષિત રામ રહીમને આ ૧૩મી વખત પેરોલ આપ્‍યા છે.

નોંધનીય છે કે રામ રહીમને અગાઉ ઘણીવાર પેરોલ મળી ચુકયા છે. છલ્લે દિલ્‍હી વિધાનસભા ચૂંટણીના મતદાનના આઠ દિવસ પહેલા ૨૮ જાન્‍યુઆરીએ તેને ૩૦ દિવસના પેરોલ પર મુક્‍ત કરવામાં આવ્‍યો હતો. ૨૮ ફેબ્રુઆરીએ તેના પેરોલ પુરા થયા બાદ તેને ફરી સુનારિયા જેલમાં મોકલવામાં આવ્‍યો હતો. ગયા વર્ષે ઓક્‍ટોબરમાં, તેને હરિયાણામાં ચૂંટણીના ત્રણ દિવસ પહેલા ૨૦ દિવસના પેરોલ આપવામાં આવ્‍યા હતા.

ગુરમીત રામ રહીમને જે રીતે સતત પેરોલ મળી રહ્યા છે, એ ધ્‍યાનમાં રાખીને રાજકારણમાં રામ રહીમના પ્રભાવ અંગે ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, ડેરાના અનુયાયીઓની સંખ્‍યા ૧.૨૫ કરોડ છે. ડેરાની ૩૮ શાખાઓમાંથી ૨૧ શાખાઓ એકલા હરિયાણામાં આવેલી છે. ધાર્મિક સંપ્રદાય હોવા છતાં, ડેરાના રાજકીય હિતો છે અને ડેરાએ એક રાજકીય શાખા પણ સ્‍થાપી છે, જે ગુરમીત રામ રહીમના નિર્દેશ હેઠળ કામ કરે છે.