હાથરસ દુર્ઘટનામાં મૃત્યુઆંક 134 : બાબાની ચરણરજ લેવા ભીડ ઉમટી પડતાં ધકકામુકકી સર્જાઈ

હાથરસમાં ભોલેબાબાનો સત્સંગ ભક્તો માટે જીવલેણ બન્યો

લોગ વિચાર :

હાથરસના ફૂલરઈમાં ગઈકાલે આયોજીત સત્સંગ માતમમાં બદલાઈ ગયો હતો. સત્સંગ પૂરો થયા બાદ ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકારની ચરણરજ લેવા માટે શ્રધ્ધાળુઓની ભીડ બેકાબુ બનતા મચેલી ભાગદોડમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ કચડાઈને માર્યા ગયા હતા. આ ભાગ દોડમાં 134થી વધુ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. અને અન્ય સેંકડો લોકો ઘાયલ થયા છે.

જેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે. ઘટનાસ્થળે મન વિચલિત કરી દે તેવા લાશોના અંબારના દ્દશ્યો ખડા થયા હતા. જયારે બીજી બાજુ જેમની ચરણ રજ લેવા શ્રધ્ધાળુઓ ભાગદોડ કરીને જીવ ખોટા તેવા ભોલેબાબા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. તેને પકડવા માટે પોલીસે ઠેર ઠેર દરોડા પાડવા શરૂ કર્યા છે.

મૃતકોનો આંક પ્રશાસને 116 જાહેર કર્યો છે પણ 134 લોકોના મોત થયાના અહેવાલો છે. ઘટનાસ્થળે ક્ષમતા કરતા 50 હજારથી વધુ લોકો એકઠા થયા હતા. અહીં સેંકડો લોકો તો ભીષણ ગરમીથી બેભાન થઈ ગયા હતા.

આ મામલે વધુમાં જાણવા મળતી વિગત મુજબ પોલીસે અત્યાર સુધીમાં આ કરૂણાંતિકામાં પોલીસે સત્સંગના આયોજકો અને સેવાદારો સામે એફઆઈઆર દાખલ કરી છે.

એટાની પોલીસે જણાવ્યું હતું કે જયારે ભોલે બાબાના સત્સંગ સમાગમનો અંત થઈ રહ્યો હતો ત્યારે બફારો ઘણો હતો. આ સ્થિતિમાં બહાર નીકળવા માટે ભાગદોડ મચી ગઈ હતી. નજરે જોનારાઓના જણાવ્યા મુજબ સત્સંગ પૂરો થયા બાદ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ બાબાના કાફલા પાછળ બાબાની ચરણરજ લેવા માટે દોડયા. ભીડને કાબુમાં કરવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જેથી લોકો ભાગવા લાગ્યા હતા અને એકબીજા પર પડવા લાગ્યા હતા અને કચડાવવાથી આટલા બધા મોત થયા.

હાથરસની દુર્ઘટનામાં વડાપ્રધાન કાર્યાલયે મૃતકોના પરિવારજનોને 2-2 લાખ અને ઘાયલોને 50-50 હજાર રૂપિયાની મદદની જાહેરાત કરી છે. બીજી બાજુ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે હાથરસ પહોંચી રહ્યા છે.

વડાપ્રધાને દુખ દર્શાવ્યુ: યોગી હાથરસ પહોચ્યા
હાથરસ: હાથરસમાં બનેલી કરુણાંતિકા મામલે વડાપ્રધાન મોદીએ દુ:ખ વ્યક્ત કરી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરી છે. પીએમે કહ્યું હતું કે યુપી સરકાર પીડિતોની સહાયતામાં જોડાઈ છે. મારી સંવેદના એ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું બધા ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું. બીજી બાજુ યુપીના પીએમ યોગી આદિત્યનાથ આજે હાથરસની મુલાકાત લેશે.

હાથરસ દુર્ઘટનામાં સેવાદારો સામે એફઆઈઆર નોંધાઈ
હાથરસ: હાથરસની દુર્ઘટનાને લઈને એક એફઆઈઆર નોંધાઈ છે. જેમાં આયોજનકર્તા મુખ્ય સેવાદાર દેવપ્રકાશ મધુકર અને બીજા સેવાદારોને આરોપી બનાવાયા છે. તેમની સામે આરોપ છે કે તેમણે આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યાને છુપાવી હતી. કાર્યક્રમ માટે માત્ર 80 હજાર લોકોની મંજુરી લેવાઈ હતી પણ લગભગ અઢી લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટયા હતા.