લોગ વિચાર :
મધ્યપ્રદેશનાં છિંદવાડામાં પાલતુ બિલાડીઓમાં બર્ડફલુ (એચ5એન1) ના કેસ બહાર આવ્યા છે.દેશમાં પહેલીવાર પાલતુ બિલાડીઓમાં બર્ડ ફલુના કેસ બહાર આવ્યા છે.જેને લઈને વહીવટી તંત્રે સખત પગલા લઈને 30 દિવસ માટે જીલ્લામાં મટન-ચિકન અને ઈંડાના ખરીદ-વેંચાણ પર પાબંદી લગાવી દીધી છે.
સાથે સાથે સંક્રમિત ક્ષેત્રોમાં પણ બધા મટન-ચિકન શોપને સીલ કરી દેવાઈ છે. આસપાસના વિસ્તારોને કેન્ટેમ્પેન્ટ ઝોન જાહેર કરી દેવાયો છે. નગર નિગમ વોર્ડ નં.6,7,8,28,29, 30,31,41 અને 45 ને સંક્રમિત જાહેર કરી દેવાયો છે.
પ્રશાસને બિલાડીઓનાં સંપર્કમાં આવેલા લોકોને સાવધાની રાખવાની સલાહ આપી છે.18 બિલાડીઓનાં મોત બાદ સેમ્પલ તપાસ માટે મોકલાયા છે. જેમાં બિલાડીઓમાં બર્ડ ફલુ જણાયો હતો.
છીંદવાડાનાં શહેરી ક્ષેત્રમાં પશુ વિભાગ દ્વારા સંક્રમિત ક્ષેત્રમાં બિલાડીઓનાં સંપર્કમાં આવેલા 65 લોકોના સેમ્પલને તપાસ માટે નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજીમાં મોકલાયા હતા. જોકે બધાના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, બર્ડફલુ માણસથી માણસમાં નથી ફેલાતો આવો કોઈ કેસ હજુ બહાર નથી આવ્યો. એટલે હજુ સુધી મહામારી નથી આવી પરંતુ આ વાયરલ પક્ષીથી માણસમાં ફેલાઈ શકે છે.