લીલાવતી હોસ્પિટલમાં કાળો જાદુ- તંત્ર મંત્ર : 2000 કરોડનું કૌભાંડ : ૩ FIR દાખલ

લોગ વિચાર :

મુંબઈની પ્રખ્‍યાત લીલાવતી હોસ્‍પિટલ ચલાવતા ચેરિટેબલ ટ્રસ્‍ટે ભૂતપૂર્વ ટ્રસ્‍ટીઓ અને સંબંધિત વ્‍યક્‍તિઓ પર ૨૦૦૦ કરોડ રૂપિયાથી વધુની નાણાકીય ગેરરીતિઓનો આરોપ લગાવ્‍યો છે. લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્‍ટે આ સંદર્ભમાં એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ અને બાંદ્રા પોલીસ સ્‍ટેશનમાં અલગ-અલગ ફરિયાદો નોંધાવી છે. ટ્રસ્‍ટે એવો પણ દાવો કર્યો છે કે હોસ્‍પિટલ પરિસરમાં ભૂતપૂર્વ ટ્રસ્‍ટીઓ અને તેમના સહયોગીઓ દ્વારા કાળો જાદુ કરવામાં આવતો હતો. ટ્રસ્‍ટનો દાવો છે કે કાળા જાદુને લગતી કેટલીક સામગ્રી, જેમ કે માનવ ખોપરી, હોસ્‍પિટલ પરિસરમાંથી મળી આવી હતી.

ફરિયાદોમાં કહેવામાં આવ્‍યું છે કે લીલાવતી હોસ્‍પિટલના નાણાકીય રેકોર્ડના ફોરેન્‍સિક ઓડિટમાં મોટા પાયે નાણાકીય ગેરરીતિઓ બહાર આવી છે, જેના કારણે ટ્રસ્‍ટના કાર્યપ્રણાલી અને ખાનગી હોસ્‍પિટલની આરોગ્‍યસંભાળ સેવાઓ પર અસર પડી છે.

ટ્રસ્‍ટના આરોપો

હોસ્‍પિટલના ટ્રસ્‍ટી પ્રશાંત મહેતાએ જણાવ્‍યું હતું કે, અમે દાખલ કરેલી ફરિયાદોને બાંદ્રા મેજિસ્‍ટ્રેટ કોર્ટના આદેશ બાદ FIRમાં રૂપાંતરિત કરવામાં આવી હતી. ભૂતપૂર્વ ટ્રસ્‍ટીઓ અને તેમના સહયોગીઓ સામે ત્રણથી વધુ FIR દાખલ કરવામાં આવી છે. હવે ચોથી ફરિયાદ પણ કોર્ટમાં પેન્‍ડિંગ છે, જે બાંદ્રા પોલીસ સ્‍ટેશનમાં દાખલ કરવામાં આવી હતી. તે કાળા જાદુ અને ગુપ્ત પ્રવળત્તિઓ સાથે સંબંધિત છે.

ભ્રષ્ટાચારના ગંભીર આરોપો

બાંદ્રા મેજિસ્‍ટ્રેટ કોર્ટે પણ આરોપીઓ સામે તપાસનો આદેશ આપ્‍યો છે. મહેતાએ જણાવ્‍યું હતું કે લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્‍ટની ગરિમા અને પારદર્શિતા જાળવી રાખવી તેમની પ્રાથમિકતા છે, જેથી હોસ્‍પિટલની સેવાઓનો જરૂરિયાતમંદ દર્દીઓ માટે યોગ્‍ય રીતે ઉપયોગ થઈ શકે. ફોરેન્‍સિક ઓડિટમાં બહાર આવેલી અનિયમિતતાઓ માત્ર ટ્રસ્‍ટના વિશ્વાસઘાત જ નથી, પરંતુ હોસ્‍પિટલની મૂળભૂત કામગીરી માટે પણ ખતરો છે. અમે આ ઉચાપતમાં સામેલ તમામ લોકોને ન્‍યાયના કઠેડામાં લાવવા માટે પ્રતિબદ્ધ છીએ. તેમણે એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટને મની લોન્‍ડરિંગ પ્રિવેન્‍શન એક્‍ટ (PMLA) હેઠળ આ આર્થિક ગુનાઓની તાત્‍કાલિક અને અસરકારક તપાસ કરવા અપીલ કરી.

ફોરેન્‍સિક ઓડિટમાં મોટો ખુલાસો

લાંબી કાનૂની લડાઈ પછી જ્‍યારે ટ્રસ્‍ટે ફરીથી નિયંત્રણ મેળવ્‍યું, ત્‍યારે વર્તમાન ટ્રસ્‍ટીઓને હોસ્‍પિટલના નાણાકીય વ્‍યવહારોમાં મોટી અનિયમિતતાઓ જોવા મળી અને ફોરેન્‍સિક ઓડિટ કરાવવાનો નિર્ણય લીધો. ઓડિટ માટે ચેતન દલાલ ઇન્‍વેસ્‍ટિગેશન એન્‍ડ મેનેજમેન્‍ટ સર્વિસીસ અને એડીબી એન્‍ડ એસોસિએટ્‍સની નિમણૂક કરવામાં આવી હતી. ઓડિટ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ટ્રસ્‍ટના ભૂતપૂર્વ ટ્રસ્‍ટીઓ દ્વારા મોટા પાયે ગેરરીતિ, નાણાકીય હેરાફેરી અને ભંડોળનો ગેરઉપયોગ થયો હતો.

૨૦૦૦ કરોડ રૂપિયાની ઉચાપત, ત્રણ FIR

મહેતાએ કહ્યું, પાંચથી વધુ ફોરેન્‍સિક ઓડિટ રિપોર્ટ્‍સથી સ્‍પષ્ટ થયું છે કે ૨૦૦૦ કરોડ રૂપિયાથી વધુની ઉચાપત કરવામાં આવી હતી. આ નાણાં ભૂતપૂર્વ ટ્રસ્‍ટીઓ દ્વારા ઉચાપત કરવામાં આવ્‍યા હતા, જેમાંથી મોટાભાગના NRI છે અને દુબઈ અને બેલ્‍જિયમમાં રહે છે.ૅ ઓડિટ રિપોર્ટના આધારે, બાંદ્રા પોલીસ સ્‍ટેશનમાં ત્રણ ફરિયાદો નોંધાઈ હતી. આ કેસોની તપાસ હવે આર્થિક ગુના શાખા દ્વારા કરવામાં આવી રહી છે. ત્રીજી FIRમાં આરોપ મૂકવામાં આવ્‍યો છે કે હોસ્‍પિટલ માટે થર્ડ-પાર્ટી ડિસ્‍ટ્રિબ્‍યુટર્સ સાથે ગેરકાયદેસર વ્‍યવહારો દ્વારા રૂ. ૧,૨૦૦ કરોડની નાણાકીય અનિયમિતતાઓ આચરવામાં આવી હતી. આ ઉપરાંત, ગુજરાતની લીલાવતી હોસ્‍પિટલને લગતી કિંમતી વસ્‍તુઓની ચોરી સંબંધિત અન્‍ય એક કેસની પણ તપાસ ચાલી રહી છે.

કાળા જાદુના પુરાવા મળ્‍યા

પ્રશાંત મહેતાએ એવો પણ દાવો કર્યો હતો કે હોસ્‍પિટલ પરિસરમાં કાળા જાદુ અને તાંત્રિક પ્રવળત્તિઓના પુરાવા મળી આવ્‍યા છે. અમને પરિસરમાં સાતથી વધુ કળશ મળ્‍યા, જેમાં માનવ વાળ અને ખોપરીઓ હતી. આ અમારા માટે આઘાતજનક હતું. વર્તમાન ટ્રસ્‍ટીઓએ સ્‍પષ્ટ કર્યું કે તેઓ હોસ્‍પિટલની ગરિમા અને દર્દીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે કાનૂની કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે અને ગુનેગારોને ન્‍યાયના કઠેડામાં લાવવામાં આવશે.