લોગ વિચાર.કોમ
સુરતમાં વર્ષ 2017માં શ્રાવિકા પર આચરેલા દુષ્કર્મના કેસમાં કોર્ટે દિગંબર જૈન મુનિને દોષિત જાહેર કરતો ચુકાદો આપ્યો છે. વર્ષ 2017માં સુરતના નાનપુરા સ્થિત ટીમલિયાવડ ખાતે આવેલા મહાવીર દિગંબર જૈન મંદિર ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા યુવતીને પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે બોલાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
આ કેસની વિગત મુજબ નાનપુરા ટીમલિયાવાડ ખાતેના દિગંબર જૈન ઉપાશ્રયમાં આવેલા એક રૂમમાં ધાર્મિક વિધિના બહાને વડોદરાની યુવતીને બોલાવવામાં આવી હતી અને જૈન મુનિ એવા આરોપી મુનિ શાંતિસાગરે તેના પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો.
આ અંગેની ફરિયાદ યુવતીએ અઠવાલાઇન્સ પોલિસ મથકમાં નોંધાવતા આરોપી મુનિ શાંતિસાગરની ધરપકડ કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટના જામીન અરજી નામંજૂર થયા બાદ આ કેસની ટ્રાયલ શરૂ થઇ હતી.
વડોદરાની 19 વર્ષીય શ્રાવિકા યુવતીએ પોતાના પરિવાર સાથે સુરત ખાતે ધાર્મિક વિધિ માટે આવ્યા બાદ આરોપી મુનિએ તેને એકાંત રૂમમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. પીડિતાએ પોલીસ સમક્ષ આપેલા નિવેદન મુજબ શાંતિસાગરે પ્રથમ તેના માતા-પિતાને ચંદનના લાકડાથી ઘેરાવેલા કુંડાળામાં બેસાડયા અને ‘ઓમ રીં શ્રી ધનપતિ કુબેરાય નમ:’નો જાપ કરવાનું કહ્યું પછી યુવતીને આ કુંડાળામાંથી મારી પરવાનગી વગર બહાર ન જવાનું કહ્યું હતું.
આચાર્ય શાંતિસાગરે યુવતી પાસે ધાર્મિક વિધિની તૈયાર માટે તેના આપત્તિજનક ફોટા મગાવ્યા હતા. તેણે તસ્વીરો માટે કેટલીક વખત ફોન અને વોટસએપનો ઉપયોગ કર્યો હતો અને યુવતીને જણાવ્યું હતું કે, મને તારો મિત્ર સમજજે. નગ્ન ફોટો વિધિ માટે જરૂરી છે.
પીડિતાનું કહેવું હતું કે, શાંતિસાગર મહારાજના પ્રવચનથી મંત્રમુગ્ધ થઇ તેણે પરિવાર સાથે તેની ધાર્મિક વિધિ માટે સુરત આવવાનું નકકી કર્યુ હતું. તેણે રાત્રિરોકાણની વાત કહી, ઉપાશ્રય ખાતે બધાને રોકયા હતા. રાત્રે વિધિ દરમિયાન શાંતિસાગરે યુવતીના માતા-પિતાને કુંડાળામાં બેસાડી, તેના ભાઇને બીજા રૂમમાં મોકલી દીધો હતો અને યુવતીને મોરપંખની પીંછીથી શારીરિક રીતે સ્પર્શ કર્યો પછી યુવતીને અન્ય ખંડમાં લઇ જઇને કહ્યું કે, ‘તું તારા માતા-પિતાને સુખી જોવા માગે છે ને ?
તો હું કહું એ પ્રમાણે ચાલ, નહીં તો તેમના મૃત્યુ થશે. એ પછી લાઇટ બંધ કરીને તેની ઇચ્છા વિરૂધ્ધ દુષ્કર્મ કર્યુ હતું. દુષ્કર્મની ઘટના પછી બેભાન થઇ ગઇ હતી. આ પછી સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.
પરિવારજનોના સહકાર અને યુવતીના હિંમતભર્યા નિવેદન બાદ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. અઠવા પોલીસ મથકે કેસ નોંધાયા બાદ તત્કાલ નિવેદન લેવામાં આવ્યા અને એ આધારે દિગંબર જૈન મુનિ શાંતિસાગરની ધરપકડ કરવામાં આવી હતી.
સમગ્ર કેસમાં પોલીસે મેડીકલ રીપોર્ટ, પીડિતાનું નિવેદન અને ડિજિટલ પુરાવાઓ આધારે ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટમાં ચાલેલી લાંબી સુનાવણી બાદ આજે જજ દ્વારા આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો છે.
ચુકાદા અંગે સરકારી વકીલ રાજેશ ડોબરીયાએ જણાવ્યું હતું કે શાંતિસાગર સામે 2017થી ટ્રાયલ ચાલતી હતી. કોર્ટે તકસીરવાર ઠેરવ્યા છે. કોર્ટે પીડિતાની જુબાની અને મેડીકલ પુરાવાઓને ધ્યાન પર લઇ દોષિત ઠેરવ્યા છે હવે સજાની સુનાવણી થશે.