બંધારણમાં પ્રમોશન વિશે કોઇ માપદંડ નિર્ધારિત ન હોવાની મહત્વપૂર્ણ ટીપ્પણી
લોગ વિચાર :
સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીઓમાં પ્રમોશનને લઈને મહત્ત્વની ટિપ્પણી કરતા કહ્યું છે કે, ‘સરકારી કર્મચારીઓને પ્રમોશન આપવાના માપદંડનો બંધારણમાં પણ ક્યાંય માપદંડ નથી. સરકાર અને કાર્યપાલિકા પ્રમોશન માટેના માપદંડો નક્કી કરવા માટે સ્વતંત્ર છે.’
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય. ચંદ્રચૂડ, જસ્ટિસ જે. બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે, ‘ભારતમાં કોઈપણ સરકારી કર્મચારી પ્રમોશનને પોતાનો અધિકાર માની શકે નહીં, કારણકે બંધારણમાં આ માટે કોઈ માપદંડ નક્કી કરવામાં આવ્યા નથી.’
કોર્ટે પોતાના નિર્ણયમાં આગળ જણાવ્યું હતું કે ‘રોજગારની પ્રકૃતિ અને ઉમેદવારની અપેક્ષિત કાર્યોના આધારે પ્રમોશનના પદોમાં ખાલી જગ્યા ભરવાની પદ્ધતિ વિધાનસભા અથવા કારોબારી નક્કી કરે છે.’ ન્યાયતંત્ર આ એ બાબતની સમીક્ષા કરી શકે નહીં કે જેમાં પ્રમોશન માટે અપનાવવામાં આવેલી નીતિ શ્રેષ્ઠ ઉમેદવારોની પસંદગી માટે યોગ્ય છે કે નહીં.’
નોંધનીય છે કે, બેન્ચે ગુજરાતમાં જિલ્લા ન્યાયાધીશોની પસંદગી પર ચાલી રહેલા વિવાદો પર પોતાનો ચુકાદો આપતાં આ વાત કહી છે. જસ્ટિસ પારડીવાલાએ ચુકાદો લખતા કહ્યું કે, ‘હંમેશા એવી ધારણા હોય છે કે લાંબા સમય સુધી સેવા આપતા કર્મચારીઓએ સંસ્થા પ્રત્યે વફાદારી દર્શાવી છે.
તેથી તેઓ તેમની પૂરી કરિયર દરમિયાન સંસ્થા તરફથી સમાન વ્યવહાર મેળવવા માટે હકદાર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સુપ્રીમ કોર્ટે સતત ચુકાદો આપ્યો છે કે જ્યાં લાયકાત અને સિનિયોરિટીના સિદ્ધાંત પર પ્રમોશનનો નિર્ણય કરવામાં આવે છે ત્યાં લાયકાત પર વધુ ભાર મૂકવો જોઈએ.’