અગ્નિકાંડ ઇફેક્ટ : ફટાકડાના સ્ટોલ માટે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ ફરજિયાત

લોગવિચાર :

અગ્નિકાંડ બાદ સાવચેત થઈ ગયેલ તંત્ર કોઈ બાંધછોડ કરવા માંગતું નથી. જેમ જન્માષ્ટમી લોક મેળાઓમાં અને નવરાત્રી આયોજનોમાં ઢીલ મુકાઈ નથી તેવી જ રીતે હવે ફટાકડા સ્ટોલની મંજૂરી માટે પણ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટી રજૂ કરવું પડશે. ફટાકડાના વેપારીઓએ પોલીસ વિભાગમાં લાયસન્સ માટે અરજી કરતી વખતે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ્સ આપવા પડશે તેની યાદી જાહેર કરી છે.

રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ ફટાકડા લાયસન્સ માટે અરજી કરતા પહેલા વેપારીઓએ તે મુજબના ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી રાખવા પડશે. ટીઆરપી અગ્નિકાંડ તંત્ર કોઈ બેદરકારી રાખવા માંગતું નથી, લોકમેળામાં જેમ સ્ટ્રક્ચર રિપોર્ટ વગર રાઈડ્સ શરૂ ન થવા દીધી એમ જ ફટાકડાના લાયસન્સ માટે પણ ઢીલ નહીં રખાય તેવો પોલીસ વિભાગ તરફથી સંકેત મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છેકે, આ વર્ષે 25 મેનો દિવસ રાજકોટ માટે ગોજારો દિવસ રહ્યો. કાલાવડ રોડ અને નનામવા રોડ નજીક સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં આગ ફાટી નીકળતા 27 લોકો જીવતા સળગી ગયા હતા અને મોતને ભેટ્યા હતા. એ બનાવથી ગેમઝોનના સંચાલક અને જવાબદાર અધિકારીઓની બેદરકારી ખૂલીને સામે આવી ગઈ હતી.

અમુક જવાબદાર અધિકારીઓ હાલ જેલમાં પણ છે. જેથી હવે અધિકારી આલમ કોઈ બેદરકારી રાખવા માંગતું નથી. જેથી લોકમેળામાં કડક નિયમો લાગુ કરાયા હતા. જેમાં સ્ટ્રક્ચર અંગે છેક સુધી વિવાદ ચાલ્યો અને રાઈડ્સ વગર જ મેળો યોજાયો હતો. એ પછી તાજેતરમાં જ નવરાત્રીને લઈને પણ નિયમો આવ્યા. દર વર્ષે શહેરમાં નવરાત્રીના આયોજનોમાં પોલીસ મંજૂરી આપવા માટે ખાસ કડકાઈ દાખવતી ન હતી અને ફાયર, ઈલેક્ટ્રીક, સીસીટીવી, સિક્યુરિટી સહિતની કાગળ પરની મંજૂરીથી પોલીસ મંજૂરી આપી દેતી હતી.

જોકે હવે ફાયર સહિતના તમામ નિયમોનું પાલન કરાવવા માટે નોટરીરાઈઝ એગ્રીમેન્ટ આપ્યાં બાદ જ મજૂરી આપશે. જે માટે ફાયર એનઓસી ફાયર વિભાગમાંથી મેળવવું પડશે, વિદ્યુત નિરીક્ષકનું ઈલેક્ટ્રીક ફિટિંગનું પ્રમાણપત્ર, એમ્બ્યુલન્સ તબીબ સાથે રાખવાની જે માટે પ્રથમ ઇમરજન્સીનું પ્રમાણપત્ર, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અંગેનું પ્રમાણપત્ર, ખાણીપીણીના સ્ટોલ રાખનારને ફૂડ ઇન્સ્પેક્ટરનું પ્રમાણપત્ર મેળવી તેનું સોગંદનામું કરવું પડશે, અમે ઇન્સ્યોરન્સ પછી જે પોલીસમાં રજૂ કર્યા બાદ જ નવરાત્રી આયોજકોને મંજૂરી મળશે તેવા નિયમો ઘડાયા.

હવે દિવાળી નજીક આવતા ફટાકડાના વેપારીઓ એક્ટિવ થયા છે. ફટાકડા લાયસન્સ મેળવવા તૈયારીઓ શરૂ થઈ છે. જેથી તંત્ર પણ સતર્ક થયું અને આગોતરા આયોજન સાથે ફટાકડા સ્ટોલ માટે વેપારીએ લાયસન્સ-મંજૂરી મેળવવા ક્યાં ક્યાં દસ્તાવેજ રજૂ કરવા પડશે તેની યાદી જાહેર કરી છે. જેમાં ખાસ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટી ફરજિયાત કરાયાનું ધ્યાને આવ્યું છે.

ફટાકડા લાયસન્સ માટે અરજી કરનાર દરેક અરજદારે પોતાની ઉંમરનો પુરાવો જે સ્થળે સ્ટોલ અથવા ફટાકડા વેચાણ કરવાનું છે તે સ્થળનું માપ અને નકશો ગુમાસ્તાધારા હેઠળનું આરએમસીનું પ્રમાણપત્ર ધંધા સ્થળની માલિકી અને તે અંગેના પુરાવા ની જગ્યા હોય તો ભડાકરણ રજૂ કરવું પડશે આ ઉપરાંત પોતાના પુરાવો પણ આપવો પડશે અને તેનું આધારકાર્ડ અથવા અન્ય કોઈ ઓળખકાર્ડ રજૂ કરવું પડશે ઉપરાંત ફટાકડા સ્ટોલ વાળા સ્થળે આગ અકસ્માત સામે સાવચેતી માટે રખાયેલા સાધનો લિસ્ટ પણ આપવું પડશે ફાયર એનઓસી ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ નું ના વાંધા પ્રમાણપત્ર એટલે કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ ખાસ અરજી સાથે જોડવાનું રહેશે આ ઉપરાંત ઈલેક્ટ્રીક યોગ્યતા અંગે અધિકૃત વાયરમેનનું વર્ણપત્ર પણ આપવો પડશે અને પોતાનું બાહેધરી આપતું બાહેધરી પત્રક નો નમુનો પણ સામેલ કરવો પડશે.

ફટાકડા સ્ટોલ પર કામ કરતા તમામ  કર્મચારીઓનો વીમો ઉતારવો પડશે
ફટાકડાના લાયસન્સ પરવાના માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીમાં કોઈ અરજદાર અરજી કરે તો તેને તેના સ્ટોલમાં કેટલા માણસો કામ કરવાના છે અને ત્યાં કામ કરતા માણસોનો વીમો ઉતારેલ છે તે અંગેના પુરાવા રજૂ કરવા પડશે. આ ડોક્યુમેન્ટની યાદીઓમાં આ વખતે ઘણા ફેરફાર થયા છે. જેમાં આગ અકસ્માત સામે સાવચેતી માટે રાખેલ સાધનોનું લિસ્ટ આપવું પડશે. અને ફટાકડાની વિગતો પણ આપવી પડશે. ફાયર વિભાગની સ્પષ્ટ અભિપ્રાય સાથેની એનઓસી જોડવી પડશે.