મોહન ભાગવત પાસે હવે મોદી-શાહ જેવી સુરક્ષા, Z+ થી પણ અદ્યતન સ્તરની સુરક્ષા

લોગવિચાર :

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતની સુરક્ષાના સ્તરમાં અનેકગણો વધારો કરવામાં આવ્યો છે. તેમની સુરક્ષા કેટેગરી ઝેડ પ્લસથી વધારી એડવાન્સ સિક્યોરિટી લાઈજન (એએસએલ) કરવામાં આવી છે. તેમની સુરક્ષા વ્યવસ્થા હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સમકક્ષ થશે. આ મુદ્દે હાલમાં ગૃહ મંત્રાલય દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, બિન-ભાજપ શાસિત રાજ્યોમાં વલણ નરમ રહેતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગૃહ મંત્રાલયે જણાવ્યા પ્રમાણે, ભાગવતની ઝેડ પ્લસ સુરક્ષામાં સીઆઈએસએફમાંથી પ્રતિનિયુક્તિ પર અધિકારી અને ગાર્ડ પણ સામેલ હતા. આરએસએસ પ્રમુખ કટ્ટરપંથી ઈસ્લામી સંગઠનો સહિત અનેક સંગઠનોના ટાર્ગેટમાં રહે છે. તેમને મળતી ધમકીઓમાં વધારો થતાં તેમજ વિભિન્ન એજન્સીઓ પાસેથી મળેલી માહિતી બાદ ગૃહ મંત્રાલયે મોહન ભાગવતને એએસએલ સુરક્ષા પ્રાપ્ત વ્યક્તિ તરીકે જાહેર કર્યા છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સત્તાવાર ધોરણે અપગ્રેડ અંગે સૂચના આપવામાં આવી છે.
એએસએલ અંતર્ગત સુરક્ષા પ્રાપ્ત વ્યક્તિની સુરક્ષા સંબંધિત જિલ્લા પ્રશાસન, પોલીસ, સ્વાસ્થ્ય અને અન્ય વિભાગો જેવી સ્થાનિક એજન્સીઓની ભાગીદારી અનિવાર્ય છે. સુત્રોએ જણાવ્યું હતું કે, તેમાં મલ્ટીપલ સિક્યોરિટી સામેલ છે. હેલિકોપ્ટર યાત્રાની મંજૂરી માત્ર વિશેષ રૂપે ડિઝાઈન કરવામાં આવેલ હેલિકોપ્ટરમાં આપવામાં આવશે.