લોગ વિચાર :
શ્રીનગર : આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતીના આધારે સુરક્ષા દળોએ આજે દક્ષિણ કાશ્મીરના કુલગામ હેઠળના મોદરગામમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ દરમિયાન એક જગ્યાએ છુપાયેલા આતંકીઓએ જવાનો પર ગોળીબાર કર્યો અને જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી. આ એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન ગોળી વાગવાથી ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મોત નીપજ્યું.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. તેમણે કહ્યું કે આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલુ છે.
કાશ્મીર ઝોન પોલીસે તેના સત્તાવાર એક્સ હેન્ડલ પરથી ટ્વીટ કર્યું કે એન્કાઉન્ટર કુલગામ જિલ્લાના મોદરગામ ગામમાં શરૂ થયું. પોલીસ અને સુરક્ષા દળો તેમના કામમાં વ્યસ્ત છે.