છત્તીસગઢમાં એક જનજાતિ છે જ્યાં ભાઈ પોતાની બહેન સાથે લગ્ન કરે છે!

લોગવિચાર :

ભાઈ-બહેનના લગ્ન? આ સાંભળ્‍યા બાદ કોઈનું પણ માથું ચકરાઈ જશે. ભાઈ પોતાની બહેનને દરેક મુસીબતમાંથી બચાવવા માટે કસમ ખાય છે. પરંતુ બીજી તરફ આપણા દેશમાં એક એવી જનજાતિ છે, જયાં ભાઈ પોતાની બહેનને જ પરણી જાય છે! તો ચાલો જાણીએ આ પરંપરાની આખી કહાની

ભારતમાં ઘણા એવી પરંપરા છે, જે આપણે સાંભળી પણ નહીં હોય. પરંતુ કેટલાક એવા પણ રિવાજો હોય છે, જે આપણે ક્‍યાંય પણ જઈએ તો એકસરખા જોવા મળે છે. મોટાભાગે આ રિવાજો કે માન્‍યતાઓ પરિવારથી જોડાયેલી હોય છે. તેમજ આપણા દેશમાં લગભગ દરેક ધર્મમાં ભાઈ-બહેનનો સંબંધ બહુ પાક અને પવિત્ર મનાય છે.

ભાઈ પોતાની બહેનને દરેક મુસીબતમાંથી બચાવવા માટે કસમ ખાય છે. બહેન પણ તેના ભાઈના લાંબા આયુષ્‍ય માટે પ્રાર્થના કરે છે. પરંતુ તમને આ વાત સાંભળીને ચોક્કસથી નવાઈ લાગશે કે, એક એવી જનજાતિ છે, જયાં ભાઈ-બહેનના ધામધૂમથી લગ્ન કરાવવામાં આવે છે.

હેં... આ તો કેવી પરંપરા, જયાં ભાઈ-બહેન પરણી જાય? આટલું વાંચ્‍યા બાદ આ સવાલ આવવો સ્‍વાભાવિક છે. પરંતુ છત્તીસગઢમાં એક એવી જનજાતિ રહે છે, જયાં ભાઈ-બહેનના લગ્નનો રિવાજ છે. હા, આ જનજાતિના લોકો સરળતાથી પોતાના ભાઈ-બહેનના લગ્ન કરાવે છે. આ લગ્નને સમાજના આશીર્વાદ પણ મળે છે. આમાં, લગ્ન મોટાભાગે પિતરાઈ ભાઈ એટલે કે, કાકાના છોકરા કે ફોઈના છોકરા સાથે થાય છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જો કોઈ લગ્ન કરવાની ના પાડે તો તેને સજા આપવામાં આવે છે તેમજ તેમના પર દંડ પણ લાદવામાં આવે છે. સામાન્‍ય રીતે લોકો ભાઈ-બહેનના લગ્નને ખોટી રીતે જુએ છે. એક જ આંગણામાં સાથે મોટા થયેલા ભાઈ-બહેનો નાનપણથી જ એકબીજા સાથે રમતા-રમતા મોટા થાય છે.

પરંતુ છત્તીસગઢના બસ્‍તર વિસ્‍તારના ગામડામાં રહેતા ધુરવા જનજાતિના લોકો ભાઈ-બહેનના લગ્ન કરાવે છે. જો કાકા તેમના દીકરાનું માંગુ મોકલે અને તેને ઠુકરાવી દેવામાં આવે તો, સામેવાળા પક્ષ પર દંડ લાદવામાં આવે છે.

પોતાના જ ભાઈ-બહેન સાથે લગ્ન કરાવવાના નુકસાન પણ સામે આવ્‍યા છે. જેના કારણે જિનેટિક રોગો ઝડપથી વધી રહ્યા છે. આ ઉપરાંત તેની વિપરીત અસરો આવનારી પેઢીઓ પર પણ જોવા મળી રહી છે. આટલું બધું જાણ્‍યા બાદ હવે આ જાતિના યુવાનો આ પરંપરાથી પીછેહઠ કરી રહ્યા છે.

ઘણા લોકો તેમના માતા-પિતા સામે બળવો કરીને આ પરંપરા સામે લડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ધુરવા જનજાતિ છત્તીસગઢની સૌથી મોટી જનજાતિમાંથી એક છે. અહીં લગ્નમાં આગ નહીં પરંતુ પાણીને સાક્ષી માનીને સાત ફેરા લેવામાં આવે છે.